Saturday 11 August 2012

લાલચ છે મોટો દુર્ગુણ

                                લાલચ છે મોટો દુર્ગુણ
 
સુંદરવનમાં છોટુ સસલો તેના સાથીમિત્રો સાથે રહેતો હતો. એક વખતની વાત છે. વનના રસ્તેથી ભટુ અને ગટુ નામે બે ભાઈઓ શહેર તરફ જઈ રહ્યા હતા. શહેર તરફ જવાનો રસ્તો ઘણો લાંબો હતો.
વળી, એ બંને ચાલીને થાકી પણ ગયા હતા. તેથી એક ઘટાદાર ઝાડ નીચે આરામ કરવા બેઠા. ભટુ અને ગટુને કકડીને ભૂખ લાગી હતી, પણ ખાય શું? એવામાં જ ગટુની નજર ઝાડ ઉપર ગઈ. જોયું તો એ આંબો હતો. તેના ઉપર ઘણી બધી કાચી-પાકી કેરીઓ લટકતી હતી. તરત જ ગટુએ ભટુને કેરી તોડવાનું કહ્યું. ભટુ ફટાફટ આંબા ઉપર ચઢી ગયો અને પંદરેક જેટલી કેરીઓ તોડીને નીચે ફેંકી.
પાંચ કેરી ખાધી ને બંનેનું પેટ ભરાઈ ગયું. બાકીની કેરી પોટલીમાં મૂકી દીધી. ભટુ કહે, બાકીની કેરી આપણે સાથે લઈ જઈએ. રસ્તામાં ભૂખ લાગશે તો કામ આવશે. થોડી વાર વાતો કર્યા પછી બંને ભાઈ આંબા નીચે જ સૂઈ ગયા.
ત્યાં તો છોટુ સસલો અને રોની રીંછ મસ્તી કરતા-કરતા આવી પહોંરયા. તેમને કેરીની સુગંધ આવી. બંનેના મોઢામાંથી લાળ ટપકવા માંડી. રોની કહે, ‘છોટુ, આજે તો આપણને વગર મહેનતે જ ખોરાક મળી ગયો છે. જો, આ બે જણ કેવા ઊધે છે! તેમને ખબર ન પડે એ રીતે પેલી પોટલી તું લઈ આવ.
પછી આપણે બંને આ ફળની લિજજત માણીએ. છોટુ નાનકડો હતો એટલે હળવેકથી તેણે કેરીની પોટલી લઈ લીધી. રોની અને છોટુએ ધરાઈને કેરી ખાધી. તો પણ પાંચ કેરી બાકી રહી ગઈ. છોટુ કહે, ‘રોની, ચલ જલદી આ લોકો જાગે એ પહેલાં કેરીઓ લઈને આપણે રફૂચક્કર થઈ જઈએ.
રોની કહે, ‘જો ને એ લોકો કેવા ઘસઘસાટ ઊધે છે. એમ કંઈ હમણાં નહીં જાગે. આંબાના છાંયામાં આપણે પણ થોડો આરામ કરી લઈએ. પછી કેરી લઈને નિરાંતે જઈશું.
એમ કરીને છોટુ અને રોની બંને આંબા નીચે સૂઈ ગયા. થોડી જ વારમાં ગટુની આંખ ખૂલી. જોયું તો પોટલીમાંથી પાંચ કેરી ગાયબ હતી. તેણે તરત જ ભટુને જગાડયો. બંનેએ વિચાર્યું કે જેણે પણ આપણી કેરી ખાધી છે તે અહીં જ હોવા જોઈએ. આજુબાજુ, સામે બધે જોયું પણ કોઈ દેખાયું નહીં. છેવટે આંબાની પાછળ ભટુએ નજર કરી તો સસલાભાઈ અને રીંછભાઈ આરામથી ઊઘતા હતા. કેરીના છોતરાનો ઢગલો પણ ત્યાં જ પડયો હતો. ગટુ અને ભટુએ હાથમાં લાકડી લીધી અને બંનેને ફટકારવાનું શરૂ કર્યું. રોની અને છોટુ એવા તો ભાગ્યા કે પાછા વળીને જોયું પણ નહીં.
છોટુ કહે, ‘જોયું ને રોની, વગર મહેનતે ખાધેલું ભોજન અને લાલચનું પરિણામ શું આવ્યું! જાતમહેનતથી કરેલા કામનું પરિણામ હંમેશાં સારું આવે, પણ આપણે બંનેએ ખોટું કામ કર્યું. એની જ આપણને સજા મળી.
સાચી વાત છે છોટુ. આજે આપણને જે શીખ મળી છે એ ઉપરથી ખરેખર સમજવું જોઈએ કે લાલચ નામના દુર્ગુણને આપણે જડમૂળથી દૂર કરી દેવો જોઈએ. અને જાતમહેનત ઉપર ભરોસો રાખી હંમેશાં સારા ગુણ અપનાવવા જોઈએ
- તીર્થ પટેલ

No comments:

Post a Comment